પાલનપુર મુકામે મુશાયરો,ગઝલ સંધ્યા,અને ગઝલ પુસ્તક વેમોચન જેવો ત્રિવેણી કાર્યક્રમ તા.૨૮/૦૩/૦૯ ના રોજ યોજાઈ ગયો જેનો અહેવાલ શબ્દ સાધના પરિવાર ના એક સભ્ય ને કવિયત્રી વર્ષા બારોટે શબ્દો માં આ રીતે કંડાર્યો છે જે અત્રે પ્રસ્તુત છે.
મુશાયરા,સુગમ સંગીતના કાર્યક્રમો અને ઉર્દૂ ગાયકીની મહેફિલોનું અવાર નવાર આયોજન કરતા રહેતા શૂન્ય પાલનપુરી સ્મારક ટ્રસ્ટ તરફથી પાલનપુર મુકામે શ્રી કાનુભાઈ મહેતા હોલમાં તા.૨૮/૦૩/૨૦૦૯ ના રોજ રાત્રે ૮.૩૦ કલાકે પાલનપુર નગરી ના મુર્ધન્ય કવિશ્રી ઓજસ પાલનપુરી સાહેબ ના ગઝલ-મુક્તક સંગ્રહ ‘ઓજસ’ની બીજી આવૃતિ ના વિમોચનની સાથે-સાથે ગઝલક્ષેત્રે કાર્યરત એવા શબ્દ સાધના પરિવાર દ્રારા શબ્દ સાધના પરિવારના નવોદિત કવિઓનો ગઝલ સંગ્રહ ‘પાંગરતી કલમે’નું વિમોચન કરવામાં આવ્યું હતું.
‘અવસર ઓજસનો’નામે યોજવામાં આવેલ આ કાર્યક્રમમાં મુખ્ય મહેમાન તરીકે પાલનપુરના વતની અને હાલ સુરત નિવાસી શ્રી અમર પાલનપુરી સાહેબ તથા ગઝલ ગાયકી ક્ષેત્રે નામના મેળવી ચુકેલ મુંબઈ નિવાસી શ્રી ઉસ્માન મીર સાહેબ ઉપસ્થિત રહયાં હતાં
આ પ્રસંગે પાલનપુરના નગરીના લાડીલા શાયર શ્રી મુસાફિર પાલનપુરી સાહેબ તથા શહેરના ગઝલ રસિકોની ઉપસ્થિતીમાં શ્રી અમર સાહેબે ઓજસ પાલનપુરી સાહેબના ગઝલ-મુકતક સંગ્રહ ‘ઓજસ’ની બીજી આવૃતિનું તથા શબ્દ સાધના પરિવારના નવોદિત કવિઓનો ગઝલ સંગ્રહ ‘પાંગરતી કલમે’ નુ વિમોચન કર્યું હતું અને એ સાથે પ્રો.યશવંત રાવલ સાહેબને એમણે પ્રદાન કરેલા પુસ્તકો’પાલનપુરનો ઈતિહાસ”પાતાલનગર’ અને પાલનપુર નગરી વિશેના સંશોધન પત્રો બદલ શાલ ઓઢાડીને અમર સાહેબે એમનું સ્વાગત કર્યું હતું.
કાર્યક્રમ દરમિયાન ઓજસ સાહેબના જીવન અને કવન વિશે જણાવતાં અમર પાલનપુરી સાહેબે કહ્યું હતું કે:કે.આસિફ અને મહેબુબ જેવા દિગ્દર્શક જેમની ચિત્ર કલાના દિવાના હતા એવા અલીમિયાં સૈયદ નો દિકરો મોટામિયાં સૈયદ એટલે આપણો ઓજસ પાલનપુરી.ગઝલના પ્રખર પંડિત એવા શૂન્ય પાલનપુરી સાહેબના શિષ્ય ઓજસ સાહેબને શાયર નહી પણ ફકીર,ઓલીયો અને અલગારી જીવ કહીને અમર સાહેબે એમની ગઝલોની ભારોભાર પ્રસંશા કરી હતી.વધુ માં એમણે જણાવ્યું હતું કે ‘શાયરો ના પ્રિય શાયર’નું બિરુદ મેળવી ચૂકેલા ઓજસ સાહેબનો બેનમૂન શેર
મારી હસ્તી મારી પાછળ એ રીતે વિસરાઈ ગઈ.
આંગળી જળમાંથી નીકળી ને જગા પુરાઈ ગઈ.
કે જેણે ગુજરાતી ગઝલના ઈતિહાસ માં એમને હંમેશ ને માટે અમર બનાવી દીધા છે .અમર સાહેબે પોતાની જીંદગીના અંગત પાંના ખોલતા વધુંમાં જણાવ્યું હતું કે એક વખત મુંબઈ માં કોઈ ફિલ્મના શુટીંગ દર્મિયાન અભિનેત્રી મીનાકુમારી,અભિનેતા ગુરુદત્ત સાહેબ ની હાજરી માં શાયર શ્રી સાહિર લુધિયાનવી સાહેબને ઉપરોક્ત શેર અમર સાહેબે સંભળાવતાં તેઓ ખુશ થઈ ગયા હતાં અને કોઇક વાર આ શાયર સાથે મુલાકાત કરાવજે એમ કહ્યું હતું વધું માં આ શેર થી પ્રભાવિત થઈ એમણે કહ્યું હતું ક મારી બધી જ રચનાઓ હું તમારા નામે કરી દઉં જો તમે આ શેર મારા નામે કરી દો.
પોતાની જ ધૂનમાં મસ્ત રહેતા ઓજસ સાહેબની મસ્તી વિશે જણાવતા અમર સાહેબે કહ્યું કે ઓજસ હંમેશા ઘવાયેલો જ રહેતો એના શરીરમાંથી લોહી નીકળતું હોય ને એને ખબર પણ ન હોય,અને એથી જ હું પોતે એમને ‘ઘવાયેલો સોલ્જર’ કહેતો.અને કદાચ એથી જ ઓજસ ના હદયમાં થી પણ આવાં શબ્દો વહી નીકળ્યાં હશે કે..
દિલાસા આપનારાઓએ મારું ધ્યાન દોર્યું છે,
નહીંતર હું દુ:ખી છું એની મુજને તો ખબર ન્હોતી.
ઓજસ સાહેબના સર્જનની પ્રસંશા ની સાથે સાથે શ્રી અમર સાહેબે તથા શ્રી મુસાફિર સાહેબે ‘પાંગરતી કલમે’ગઝલ સંગ્રહ ને પણ પ્રશંસા ના શબ્દ પુષ્પોથી નવાજયો હતો.
શબ્દની સાથે શુર અને તાલ મળે તો સાંભળનાર લીન થયા વગર રહે ખરો? એ યુક્તિને સાર્થક કરતાં હોય તેમ શ્રી ઉસ્માન મીર સાહેબે એમના મધુર કંઠ થકી સતત ત્રણ કલાક સુધી શ્રોતાજનોને જકડી રાખીને સમગ્ર કર્યક્રમ ને રસપુર્ણ બનાવ્યો હતો.વધુમાં તેમણે શુન્ય સાહેબને યાદ કરતા તેમની ઉર્દુમાં રુમાની ઉપનામથી લખાયેલી ગઝલ ‘મે કિસીસે દિલ લગાકે બૈઠા હું, મે અપની હસ્તી મીટાકે બૈઠા હું’ સંભળાઈને રસમાં તરબોળ કરી દિધાં હતા.
અને અંતે શુન્ય સ્મારક ટ્ર્સ્ટ ના ખંતીલા અને કલારસિક મેનેજીંગ ટ્ર્સ્ટી શ્રી શૈલેષભાઈ મહેતાના પ્રયત્નો થકી સમગ્ર કાર્યક્રમ સફળ રહ્યો હતો.
-વર્ષા બારોટ ,ઝેરડા
મો.૯૯૭૯૭૪૭૨૧૦